Pages

Subscribe:

Blogger templates

Sunday, 25 November 2012

કુંડલિની શક્તિના જાગરણથી અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે!

- ડોમાર આગ પર ચાલતો હોય ત્યારે તેના પગના તળિયા દાઝતા નથી તે તો આશ્ચર્ય છે જ પણ બીજું આશ્ચર્ય એ છે કે તેના પગ પાસેના કપડાને પણ અગ્નિની ઝાળ લાગતી નથી. તે સળગી જતા નથી કે કાળા પણ પડતા નથી.

ઇટાલિયન ચિંતક જુલિયસ ઈવોલા યોગ અને ગૂઢ વિદ્યાના પ્રખર અભ્યાસી હતા. આ વિષય પર તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે જે જર્મન, સ્પેનીશ અને ફ્રેન્ચ ભાષામાં અનુવાદિત થયા છે. જોકે કેટલાક પુસ્તકો અંગ્રેજીમાં પણ અનુવાદિત થયા છે. તેમાનું એક પુસ્તક - 'ધ યોગ ઑફ પાવર' બહુ ખ્યાતિ પામ્યું છે. આ પુસ્તકમાં તેમણે કુંડલિની શક્તિ અને કુંડલિની યોગ વિશે ઊંડી સમજૂતી આપી છે. તે કહે છે કે કુંડલિની શક્તિને જાગૃત કરવી હોય તો પ્રાણાયામ અને ચિત્રાત્મક કલ્પના (વિઝ્યુઅલાઇઝેશન)નો ઉપયોગ કરવો જોઇએ.


કુંડલિની શક્તિનું ઉત્થાન કેવી રીતે કરવું અને તેમાં ચક્રોનું યોગદાન કેવું રહે છે તેને લગતી માહિતી અનેક સાધકો પોતાના અનુભવને આધારે રજૂ કરે છે. જીવાત્મા આ દેહ રૃપી કેદમાં બંધાયેલો રહે છે. જોકે આ દેહમાં મુક્તિનું એક મહાદ્વાર પણ આવેલું છે. તેના થકી સાધક તમામ બંધનોમાંથી મુક્ત થઇ અમૃતત્વને પ્રાપ્ત કરી શકે છે. યોગપ્રક્રિયામાં નાડીઓ અને ચક્રોનું યથાર્થ જ્ઞાાન જરૃરી છે. સિદ્ધ યોગીઓ એને 'પિંડ વિચાર' કહે છે, એના સમ્યક્ જ્ઞાાન વિના યોગસિદ્ધિ મળી શકતી નથી. યોગશાસ્ત્ર કહે છે કે કુંડલિની શક્તિની જાગૃતિ વિના કંઇ બનતું નથી. 


મૂલાધાર ચક્રના સાડા ત્રણ આંટા વાળીને સૂતેલી કુંડલિની જાગૃત થઇને સહસ્રાર ચક્રમાં રહેલા શિવ તત્ત્વને ન મળે ત્યાં સુધી બધી જ સાધના વ્યર્થ છે. મૂલાધાર એ પૃથ્વી તત્ત્વનું ચક્ર છે જેમાં દિવ્ય ચેતના રૃપી શક્તિ ગૂંચળું વાળીને સૂતી છે તેનો આકાર ગૂંચળું વાળેલી સર્પિણી જેવો છે એટલે એને કુંડલિની કહેવાય છે. મનુષ્યનો દેહ પૃથ્વી તત્ત્વથી બનેલો છે તેથી પૃથ્વીના ગુણધર્મો તેનામાં આવે જ છે. પૃથ્વી જેમ ગુરુત્વાકર્ષણથી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચી રાખે છે તેમ મનુષ્ય પણ પોતાના અહં ભાવથી દરેક વસ્તુને પોતાના તરફ ખેંચે છે. આ આકર્ષવાની સ્વાભાવિક શક્તિ તે સુષુપ્ત કુંડલિની શક્તિ જ છે. કુંડલિની ત્રણ આંટા વાળીને રહેલી છે તેનું રહસ્ય એ છે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ; તથા સ્વપ્ન, જાગૃતિ, સુષુપ્તિ', સત્ત્વ, રજ, તમ આ ત્રણમાં રહી જે કરવામાં આવે તે 'અહં' સંબંધી છે પણ પછીનો જે અડધો આંટો છે તે આ ત્રણે અવસ્થાથી ઉપર ઉઠવાનો પુરુષાર્થ સૂચવે છે. આ આંટો અડધો છે કારણ કે એમાં શિવત્વની ઝંખના સમાવિષ્ટ છે. એમાં અર્ધ શિવત્વની મુક્તાવસ્થા આવી ગઇ છે એવો અર્થ છે. મુલાધાર ચક્રમાં રહેલી શક્તિનો મસ્તકમાં આવેલા સહસ્રાર શિવ સાથે મેળાપ કરાવવો એ યોગીનો મુખ્ય પુરુષાર્થ છે.


યોગસાધનાના બે ભાગ પડે છે. એકમાં આસન, બંધ, મુદ્રા, પ્રાણાયામ દ્વારા કુંડલિનીને જાગ્રત કરવામાં આવે છે. પિંડસિદ્ધિ અથવા શરીરને અમૃતત્વ પ્રાપ્ત કરાવી અમરતા તરફ લઇ જવા પ્રાણ-કુંડલિનીનો ઉપયોગ થાય છે. બીજા તબક્કામાં આ પિંડપદને પરમપદમાં લય કરી પરમ મુક્ત અવસ્થા પ્રાપ્ત કરાવાય છે. તે પ્રાણ કુંડલિનીના ઊર્ધ્વગમન વિના ચિત્ત-કુંડલિની જાગરણથી પણ સીધું જ થઇ શકે છે. પહેલી સિદ્ધિને 'તારકયોગ' કહેવાય છે જ્યારે બીજી સિદ્ધિને 'અમનસ્ક યોગ' કહેવાય છે. હઠયોગ અને રાજયોગની મદદથી નાડી તંત્ર અને જ્ઞાાનતંતુઓને પ્રબળ બનાવવામાં આવે તો મૂલાધારમાં જાગ્રત થયેલી કુંડલિની શક્તિ વિશુદ્ધ થયેલા ષડ્ચક્રોને ભેદતી ઉપર જવા માંડે છે. સાધક આ શક્તિને જીરવી ના શકે તો તેના શરીર અને મન પર વિપરીત અસર પડી શકે છે.


સર જ્હોન વુડરોફ અને ડબલ્યુ.વાય. ઈવાન્સ - વેટન્ઝના પુસ્તકોએ પણ પશ્ચિમના લોકોને કુંડલિની શક્તિ અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી છે. કુંડલિની શક્તિના સાધક અનેકવિધ ચમત્કારો પણ સર્જી શકે છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત સ્થાન પ્રાપ્ત કરનાર કોમાર હિન્દુ ફકીર તરીકે ખ્યાતિ પ્રાપ્ત હતો. તેનું સાચું નામ વર્નન ક્રેઇગ હતું. તે ધગધગતી ગરમી ધરાવતા આગના ખાડામાંથી કોઇપણ પ્રકારની ઈજા વગર પસાર થઇ શકતો. તે રીતે તે લોખંડના ખીલાની શય્યા પર લાંબા સમય સુધી બેસી શકતો કે સૂઇ રહેતો. કોમાર ખીલાની શય્યા પર ચત્તા સૂઇ જઇ છાતી પર બીજું ખીલાનું પાટિયું ગોઠવી તેના પર ચાર ભારે વજનવાળા માણસોને ઊભા રાખતો તેમ છતાં તે પાટિયાના ખીલા તેની પીઠ કે છાતીને વીંધી શકતા નહોતા. ડૉ. નોર્મન શેલીએ કોમારની દૈહિક સહનશીલતાની શક્તિની કસોટી કરી હતી. તેમણે વૈજ્ઞાાનિક સાધનોથી પહેલાં તો કોમારની 'કોન્જાઇનિટલ એનાલ્જેસિયા' વિશે કસોટી કરી હતી. કેટલીક વ્યક્તિઓ જન્મજાત રીતે 'કોન્જાઈનિટલ એનાલ્જેસિયા' ધરાવતા હોય છે જેમાં તેમના જ્ઞાાનતંતુની રચના તથા મગજના કેન્દ્રોની કાર્યવાહી એવા પ્રકારની હોય છે કે જેથી તેમને પીડાનો અનુભવ થતો નથી કે સાવ અલ્પ પ્રમાણમાં થાય છે, પણ પ્રયોગો પરથી જોવામાં આવ્યું કે કોમારમાં કોન્જાઇનિટલ એનાલ્જેસિયા જેવી કોઇ ખાસ શારીરિક લાક્ષણિકતા નહોતી જેથી કરીને તેનું શરીર સંવેદનારહિત બની જતું હોય. તેના જ્ઞાાનતંતુની રચના અને મગજના કેન્દ્રોની કાર્યવાહી સામાન્ય માનવી જેવી જ હતી

ધગધગતા લાલધૂમ અંગારા પર પીડારહિત સ્થિતિમાં ચાલનાર કોમાર પ્રયોગ બાદ સાદા પથ્થરના ઢગલા પર ચાલતો ત્યારે તેને પીડા થતી હતી. એ જ રીતે ધારદાર ખીલાની પથારી પર કોમાર સૂતો હોય ત્યારે તેને કોઇ જ પીડા નહોતી થતી પણ પ્રયોગ પછી કોઇ તેના શરીર પર ટાંકણી ભોંકે તો તે ચીસ પાડી ઉઠતો!


કોમારની આવી શક્તિ શેના કારણે છે તે જાણવા ડૉકટર નોર્મન શેલીએ પ્રયોગો કર્યા. તેમણે કોમારના વિદ્યુત ચુંબકીય 
તરંગોનો અભ્યાસ કર્યો. આના પરથી તેમને જાણવા મળ્યું તેના મગજના તરંગો 'આલ્ફા' પ્રકારના જ રહે છે. પ્રયોગ વખતે તેના મગજમાં 'થીટા' તરંગો વહેતા નથી. એટલે કે તે વખતે તે ઊંડી સમાધિ જેવી સ્થિતિમાં આવતો નથી. કોમાર પોતાની શક્તિનું રહસ્ય જણાવતા સ્વયં કહે છે- હું યોગ, ભાવાત્મક વિચાર શક્તિ અને આત્મસંમોહનની પ્રક્રિયાનો ઉપયોગ કરીને શરીરની પીડારહિતનાની સ્થિતિ સર્જુ છું. હું સુખદ ચિત્રાત્મક કલ્પનાશક્તિનો પણ ઉપયોગ કરું છું. ધારદાર ખીલા પર સૂઇ જાઉં ત્યારે હું સુંદર કોમળ પુષ્પોની પથારી પર સૂઇ જતો હોઉં એવી કલ્પના કરું છું. મારી કુંડલિની શક્તિનો ઉપયોગ કરી ઠંડી હોય ત્યાં ગરમીની કલ્પના કરી અને ગરમી હોય ત્યાં ઠંડીની કલ્પના કરી એ પ્રકારનો અનુભવ કરવા લાગુ છું.


એ વખતે હાડ થીજાવી દે તેવી ઠંડીમાં પણ હૂંફાળા વાતાવરણમાં હોઉં તેમ જ લાગે છે. કોમાર પર વૈજ્ઞાાનિક સંશોધન કરનારા વિજ્ઞાાનીઓને એક નહીં, અનેક આશ્ચર્યો થાય છે. તે આગ પર ચાલતો હોય ત્યારે તેના પગના તળિયા દાઝતા નથી તે તો આશ્ચર્ય છે જ પણ બીજું આશ્ચર્ય એ છે કે તેના પગ પાસેના કપડાને પણ અગ્નિની ઝાળ લાગતી નથી. તે સળગી જતા નથી કે કાળા પણ પડતા નથી. કોમાર એમ માને છે કે પ્રયોગ વખતે કુંડલિની શક્તિના પ્રભાવથી અગ્નિ અને તેની વચ્ચે કોઇ પ્રકારનું આવરણ રચાતું હશે. કોઇ અજ્ઞાાત ઊર્જા ક્ષેત્રને કારણે ઉદ્ભવતું આવરણ કોમારને આગથી અને પીડાથી બચાવતું હશે!

0 comments:

Post a Comment